ધ્યાનયોગ | અધ્યાય છ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Six In Gujarati
श्रीभगवानुवाच :
अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः ।
स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः ॥ १ ॥
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યાઃ જે મનુષ્ય પોતાનાં કર્મનાં ફળ પ્રતિ અનાસક્ત છે અને જે પોતાનાં કર્તવ્યાનુસાર કર્મ કરે છે , તે સંન્યાસી છે તથા તે જ સાચો યોગી પણ છે , અને નહિ કે જે અગ્નિ પ્રગટાવતો નથી અને કર્તવ્યકર્મ કરતો નથી .(1)
यं सन्न्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव ।
न ह्यसन्यस्तसङ्कल्पो योगी भवति कश्चन ॥२ ॥
હે પાંડુપુત્ર , જે સંન્યાસ કહેવાય છે , તેને જ તું યોગ અર્થાત્ પરમબ્રહ્મ સાથે યુક્ત થવું જાણ , કારણ કે ઇન્દ્રિયતૃપ્તિ માટેની ઇચ્છાનો ત્યાગ કર્યા વિના કોઈ મનુષ્ય કદાપિ યોગી થઈ શકે નહિ. (2)
आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते ।
योगारूढस्यतस्यैव शमः कारणमुच्यते ॥ ३ ॥
અષ્ટાંગયોગમાં નવોદિત સાધક માટે કર્મ એ સાધન કહેવાય છે અને યોગમાં ઉન્નત થયેલા મનુષ્ય માટે સર્વ ભૌતિક કાર્યોનો ત્યાગ એ જ સાધન કહેવાય છે .(3)
यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते ।
सर्वसङ्कल्पसन्न्यासी योगारूढस्तदोच्यते ॥ ४ ॥
જ્યારે , મનુષ્ય સર્વ ભૌતિક કામનાઓનો ત્યાગ કરીને ન તો ઇન્દ્રિયતૃપ્તિ માટે કાર્ય કરે છે અને ન તો સકામ કર્મોમાં પરોવાય છે , ત્યારે તેને યોગમાં ઉન્નત થયેલો કહેવાય છે .(4)
उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् ।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥ ५ ॥
મનુષ્ય પોતાના મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાનું પતન થવા દેવું ન જોઈએ . આ મન , બદ્ધજીવનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે .(5)
बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः ।
अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ॥ ६ ॥
જેણે મન પર વિજય મેળવ્યો છે , તેને માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે , પણ જે આમ કરવામાં નિષ્ફળ નીવડ્યો છે , તેને માટે મન એ સૌથી મોટો શત્રુ બની રહે છે .(6)
जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः ।
शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः ॥ ७ ॥
જેણે મનને જીત્યું છે તેને માટે પરમાત્મા પ્રાપ્ત થયેલા જ છે , કારણ કે તેણે શાંતિ પ્રાપ્ત કરેલી છે . આવા પુરુષ માટે સુખદુઃખ , ઠંડી - ગરમી અને માન - અપમાન એકસમાન જ હોય છે .(7)
ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः ।
युक्त इत्युच्यते योगी समलोष्ट्राश्मकाञ्चनः ॥ ८॥
મનુષ્ય જ્યારે મેળવેલાં જ્ઞાન તથા સાક્ષાત્કાર દ્વારા પૂરેપૂરો સંતુષ્ટ થઈ જાય છે , ત્યારે તે આત્મ - સાક્ષાત્કારમાં સ્થાપિત થયેલો તથા યોગી કહેવાય છે . આવો મનુષ્ય , અધ્યાત્મમાં સ્થિત તથા જિતેન્દ્રિય હોય છે . તે સર્વ વસ્તુઓને એકસમાન દૃષ્ટિએ જુએ છે ભલે પછી તે કાંકરા હોય , પથ્થર હોય કે સુવર્ણ હોય .(8)
सुहृन्मित्रार्युदासीनमध्यस्थद्वेष्यबन्धुषु I
साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते ॥ ९ ॥
જ્યારે મનુષ્ય સાચા શુભેચ્છકોને , પ્રિય મિત્રોને , તટસ્થ લોકોને , મધ્યસ્થી કરનારાઓને , દ્વેષીજનોને , શત્રુઓ તથા મિત્રોને , પાપી તથા પુણ્યાત્માઓને સમાન ભાવે જુએ છે , ત્યારે તેને હજી વધારે ઉન્નત થયેલો માનવામાં આવે છે .(9)
योगी युञ्जीत सततमात्मानं रहसि स्थितः ।
एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रहः ॥ १० ॥
અધ્યાત્મવાદીએ પોતાનાં શરીર , મન તથા આત્માને હંમેશાં પરમેશ્વરમાં તલ્લીન રાખવાં જોઈએ . તેણે એકાંતસ્થળે એકલા રહેવું જોઈએ તથા બહુ સાવધાનીપૂર્વક પોતાના મનને હંમેશાં વશમાં રાખવું જોઈએ . તે કામનાઓથી તથા સંગ્રહવૃત્તિથી રહિત હોવો જોઈએ .(10)
शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः ।
नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् ॥ ११ ॥
तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रिय ।
उपविश्यासने युञ्ज्याद्योगमात्मविशुद्धये ॥ १२ ॥
યોગાભ્યાસ કરવા માટે મનુષ્ય એકાંત સ્થાનમાં જઈને ભૂમિ પર કુશ ઘાસ પાથરવું અને પછી તેને મૃગચર્મથી ઢાંકી ઉપર સુંવાળું વસ્ત્ર પાથરવું . આસન બહુ ઊંચું કે બહુ નીચું ન હોવું જોઈએ અને તે પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ . પછી યોગીએ તેની ઉપર સુસ્થિર થઈને બેસવું જોઈએ અને મન , ઇન્દ્રિયો તથા કાર્યોને વશમાં કરીને તથા મનને એક બિંદુ પર સ્થિર કરીને , હૃદયને શુદ્ધ કરવા માટે યોગાભ્યાસ કરવો જોઈએ .(11-12)
समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः ।
सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् ॥ १३ ॥
प्रशान्तात्मा विगतभीब्रह्मचारिव्रते स्थितः ।
मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः ॥ १४ ॥
યોગીએ પોતાનું શરીર , ગરદન તથા માથું સીધું ટટ્ટાર રાખવું જોઈએ અને નાકના અગ્રભાગ પર દૃષ્ટિ સ્થિર રાખવી જોઈએ . આ પ્રમાણે તે સ્થિર તથા સંયમિત મનથી ભયરહિત તથા વિષયી જીવનથી પૂર્ણ રીતે મુક્ત થઈને , મનુષ્ય અંતઃકરણમાં મારું ચિંતન કરવું જોઈએ અને મને જ પોતાનું અંતિમ ધ્યેય માનવું જોઈએ .(13-14)
युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः ।
शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति ॥ १५ ॥
આ પ્રમાણે શરીર , મન તથા કર્મમાં હરહંમેશ સંયમનો અભ્યાસ કરતો સંયમિત મનવાળો યોગી , આ ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થયે ભગવદ્ધામ ( અથવા કૃષ્ણલોક ) ને પ્રાપ્ત કરે છે .(15)
नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः ।
न चातिस्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन ॥ १६ ॥
જે મનુષ્ય અતિશય આહાર લે છે અથવા બિલકુલ આહાર લેતો નથી , અતિશય ઊંઘે છે કે પૂરી ઊંઘ લેતો નથી , તેને માટે યોગી થવાની શક્યતા નથી. (16)
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ।
युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ॥ १७ ॥
જે મનુષ્ય આહાર , વિહાર , નિદ્રા તથા કાર્ય કરવાની આદતોમાં નિયમિત રહે છે , તે યોગાભ્યાસ દ્વારા સર્વ ભૌતિક દુઃખોને નષ્ટ કરી શકે છે .(17)
यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते ।
निस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा ॥ १८ ॥
જ્યારે યોગી યોગાભ્યાસ દ્વારા પોતાનાં માનસિક કાર્યોને સંયમિત કરી લે છે અને અધ્યાત્મમાં સ્થિત થઈ જાય છે , અર્થાત્ સર્વ ભૌતિક ઇચ્છાઓથી રહિત થઈ જાય છે , ત્યારે તે યોગમાં સુસ્થિર થયેલો કહેવાય છે .(18)
यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता ।
योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः ॥ १ ९ ॥
જેવી રીતે વાયુરહિત સ્થાનમાં દીવો અસ્થિર થતો નથી , તેવી જ રીતે જે યોગીનું મન વશમાં હોય છે , તે દિવ્ય આત્માના ધ્યાનમાં સદા સ્થિર રહે છે .(19)
यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया ।
यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति ॥ २० ॥
सुखमात्यन्तिकं यत्तद्बुद्धिग्राह्यमतीन्द्रियम् ।
वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः ॥ २१ ॥
यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः ।
यस्मिन्स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते ॥ २२ ॥
तं विद्याद्दुःखसंयोगवियोगं योगसंज्ञितम् ॥ २३ ॥
જેને સમાધિ કહેવામાં આવે છે એ પૂર્ણ અવસ્થામાં , મનુષ્યનું મન યોગાભ્યાસ દ્વારા ની ભૌતિક - માનસિક ક્રિયાઓથી પૂરેપૂરું સંયમિત થઈ જાય છે . આ સિદ્ધિનું વિશિષ્ટ લક્ષણ એ છે કે મનુષ્ય શુદ્ધ મનથી પોતાને જોઈ શકે છે અને પોતાની અંદર આનંદ માણી શકે છે . તે આનંદાવસ્થામાં મનુષ્ય દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવાતા અપાર દિવ્ય સુખમાં સ્થિત રહે છે . એ રીતે પ્રસ્થાપિત થયેલો મનુષ્ય કદાપિ સત્યથી જુદો પડતો નથી અને આ સુખની પ્રાપ્તિ પછી આનાથી મોટો કોઈ લાભ હોય એમ તે માનતો નથી . આવી સ્થિતિ પામીને મનુષ્ય મોટામાં મોટી વિપત્તિમાં પણ વિચલિત થતો નથી . ખરેખર સમાધિની આ અવસ્થા એ જ તો ભૌતિક સંસર્ગમાંથી ઊપજતાં સર્વ દુઃખોમાંથી પ્રાપ્ત થતી વાસ્તવિક મુક્તિ છે .(20-21-22-23)
स निश्चयेन योक्तव्यो योगोऽनिर्विण्णचेतसा ।
सङ्कल्पप्रभवान्कामांस्त्यक्त्वा सर्वानशेषतः ।
मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः ॥ २४ ॥
મનુષ્યે શ્રદ્ધા તથા નિશ્ચયપૂર્વક યોગાભ્યાસમાં નિમગ્ન થઈ જવું જોઈએ અને પથભ્રષ્ટ થવું જોઈએ નહિ . તેણે મનનાં અનુમાનોથી ઉત્પન્ન થયેલી સર્વ દુન્યવી ઇચ્છાઓનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને એ રીતે મન દ્વારા ઇન્દ્રિયોને બધી બાજુથી સંયમિત કરવી જોઈએ . (24)
शनैः शनैरुपरमेदबुद्ध्या धृतिगृहीतया ।
आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् ॥ २५ ॥
ધીરે ધીરે , ક્રમશઃ પૂર્ણ વિશ્વાસપૂર્વક બુદ્ધિ દ્વારા મનુષ્યે સમાધિમાં સ્થિત થવું જોઈએ અને એ રીતે , મનને આત્મામાં જ સ્થિર કરીને અન્ય કશાયનું ચિંતન કરવું જોઈએ નહિ .(25)
यतो यतो निश्चलति मनश्चञ्चलमस्थिरम् ।
ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ॥ २६ ॥
મન પોતાની ચંચળ તથા અસ્થિર વૃત્તિને કારણે જ્યાં જ્યાં ભટકતું હોય , ત્યાંથી મનુષ્ય તેને સર્વથા પાછું વાળી લેવું જોઈએ અને પોતાના નિયંત્રણ હેઠળ લાવવું જોઈએ .(26)
प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् ।
उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् ॥ २७॥
જે યોગીનું મન મારામાં સ્થિર રહે છે તે નિશ્ચિતપણે દિવ્ય સુખની સર્વોચ્ચ સિદ્ધિને પ્રાપ્ત કરે છે . તે રજોગુણથી પર થઈ જાય છે , પરમેશ્વર સાથેની પોતાની ગુણાત્મક એકતાનો સાક્ષાત્કાર કરે છે અને એ રીતે ભૂતકાળનાં પોતાનાં સર્વ કર્મનાં ફળથી મુક્ત થઈ જાય છે .(27)
युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः ।
सुखेन ब्रह्मसंस्पर्शमत्यन्तं सुखमश्नुते ॥ २८ ॥
આ પ્રમાણે , યોગાભ્યાસમાં હંમેશાં આત્મસંયમી યોગી સર્વ ભૌતિક મલિનતાઓથી રહિત થઈ જાય છે અને ભગવાનની દિવ્ય પ્રેમભરી સેવામાં પરમ સુખની સર્વોચ્ચ અવસ્થા પામે છે .(28)
सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ।
ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥ २९ ॥
સાચો યોગી સમગ્ર જીવોમાં મને તથા મારામાં સર્વ જીવોને જુએ છે . ખરેખર , આત્મ - સાક્ષાત્કારી મનુષ્ય મને , પરમેશ્વરને સર્વત્ર જુએ છે .(29)
यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति ।
तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥ ३० ॥
જે મનુષ્ય મને સર્વત્ર જુએ છે અને બધું જ મારામાં જુએ છે તેને માટે હું કદાપિ દૂર થતો નથી અને તે પણ મારે માટે કદી દૂર થતો નથી .(30)
सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः ।
सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते ॥ ३१ ॥
જે યોગી મને ( કૃષ્ણને ) તથા સર્વ જીવોમાં રહેલા પરમાત્માને અભિન્ન જાણીને પરમાત્માની ભક્તિભાવે સેવા કરે છે , તે સર્વ સંજોગોમાં મારી ભાવનામાં રહે છે .(31)
आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन ।
सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ॥ ३२ ॥
હે અર્જુન , જે યોગી પોતાની તુલનામાં સર્વ પ્રાણીઓને અને તેમનાં સુખોમાં તથા દુઃખોમાં પણ સમાનપણે દર્શન કરે છે , તે પૂર્ણ યોગી છે .(32)
अर्जुन उवाच :
योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन ।
एतस्याहं न पश्यामि चञ्चलत्वात्स्थितिं स्थिराम् ॥ ३३ ॥
અર્જુને કહ્યું : હે મધુસૂદન , આપે જે યોગ પદ્ધતિ સંક્ષેપમાં વર્ણવી છે તે મને અવ્યવહારુ તથા નભાવી ન શકાય એવી લાગે છે , કારણ કે મન ચંચળ તથા અસ્થિર હોય છે .(33)
चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद्दृढम् ।
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥ ३४ ॥
હે કૃષ્ણ , મન ચંચળ , ઉશ્રૃંખલ , દુરાગ્રહી તથા અત્યંત બળવાન છે અને તેથી તેને વશમાં રાખવું એ મને વાયુને વશમાં રાખવાથી પણ વધારે અઘરું લાગે છે .(34)
श्रीभगवानुवाच :
असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् ।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥ ३५ ॥
ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું : હે મહાબાહુ કુંતીપુત્ર , નિઃસંદેહ ચંચળ મનને વશ કરવું એ અત્યંત અઘરું છે , પરંતુ યથાયોગ્ય અભ્યાસ તથા વૈરાગ્ય દ્વારા તેને વશ કરવું શક્ય છે .(35)
असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः ।
वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायतः ॥ ३६ ॥
જે મનુષ્યનું મન અસંયમિત છે તેને આત્મ - સાક્ષાત્કાર દુર્લભ હોય છે . પરંતુ જેનું મન સંયમિત છે તથા જે યોગ્ય ઉપાય દ્વારા પ્રયત્ન કરે છે , તેને નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત થાય છે . એ મારો અભિપ્રાય છે .(36)
अर्जुन उवाच :
अयतिः श्रद्धयोपेतो योगाच्चलितमानसः ।
अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति ॥ ३७ ॥
અર્જુને કહ્યું : હે કૃષ્ણ , તે અસફળ યોગીની શી ગતિ થાય છે કે જે શરૂઆતમાં આત્મ - સાક્ષાત્કારની પ્રક્રિયાને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે છે , પરંતુ પછીથી ભૌતિકતાને કારણે તેમાંથી વિચલિત થઈ જાય છે અને તેના પરિણામ સ્વરૂપ યોગસિદ્ધિને પામી શકતો નથી ?(37)
कच्चिन्नोभयविभ्रष्टश्छिन्नाभ्रमिव नश्यति ।
अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि ॥ ३८ ॥
- હે મહાબાહુ કૃષ્ણ , શું અધ્યાત્મપ્રાપ્તિના માર્ગથી ભ્રષ્ટ થયેલો એવો મનુષ્ય આધ્યાત્મિક તથા ભૌતિક બન્ને સફળતાઓમાંથી પતન પામતો નથી અને છિન્નભિન્ન થયેલાં વાદળની જેમ નષ્ટ થતો નથી , જેના પરિણામે તેને માટે કોઈ લોકમાં કોઈ સ્થાન નથી રહેતું ?(38)
एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्यशेषतः ।
त्वदन्यः संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते ॥ ३९ ॥
હે કૃષ્ણ , આ મારો સંદેહ છે અને તેને સંપૂર્ણપણે દૂર કરવા હું આપને વિનંતિ કરું છું . આપના સિવાય અન્ય કોઈ એવો નથી કે જે આ સંશયને નષ્ટ કરી શકે .(39)
श्रीभगवानुवाच :
पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते ।
न हि कल्याणकृत्कश्चिद्दुर्गतिं तात गच्छति ॥ ४० ॥
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યાઃ હે પૃથાપુત્ર અર્જુન , કલ્યાણકારી કાર્યોમાં પરોવાયેલા અધ્યાત્મવાદીનો આ લોકમાં કે પરલોકમાં વિનાશ થતો નથી . હે મિત્ર , ભલું કરવાવાળાની કદાપિ અધોગતિ થતી નથી .(40)
प्राप्य पुण्यकृतां लोकानुषित्वा शाश्वतीः समाः ।
शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ॥ ४१ ॥
અસફળ યોગી પુણ્યાત્મા લોકોના લોકમાં અનેક વર્ષો સુધી સુખ ભોગવ્યા પછી , સદાચારી લોકોના અથવા તો ગર્ભશ્રીમંત લોકોના કુળમાં જન્મ પ્રાપ્ત કરે છે .(41)
अथवा योगिनामेव कुले भवति धीमताम् ।
एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् ॥ ४२ ॥
અથવા ( જો દીર્ઘ યોગાભ્યાસ પછી અસફળ રહે તો ) તે એવા અધ્યાત્મવાદીના કુળમાં જન્મે પામે છે કે જેઓ અતિશય જ્ઞાનવાન હોય છે . ખરેખર , આ જગતમાં આવો જન્મ પામવો એ અત્યંત દુર્લભ છે .(42)
तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् ।
यतते च ततो भूयः संसिद्धौ कुरुनन्दन ॥ ४३ ॥
હે કુરુનંદન , આવો જન્મ પામીને તે પોતાના પૂર્વ દેહની દૈવી ચેતના પુનઃ પ્રાપ્ત કરે છે અને પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી તે વધારે ઉન્નતિ પામવાનો પ્રયાસ કરે છે .(43)
पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सः ।
जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ॥४४ ॥
પૂર્વજન્મની દૈવી ચેતનાથી તે અનાયાસે આપોઆપ યોગના નિયમો પ્રત્યે આકર્ષિત થાય છે . આવો જિજ્ઞાસુ યોગી , શાસ્ત્રોના કર્મકાંડના સિદ્ધાંતોથી પર હોય છે .(44)
प्रयत्नाद्यतमानस्तु योगी संयुद्धकिल्बिषः ।
अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम् ॥ ४५ ॥
વળી જ્યારે યોગી , સર્વ સંસર્ગદોષથી શુદ્ધ થઈને વધુ પ્રગતિ કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરે છે , ત્યારે અંતે અનેકાનેક જન્મોની સાધના પછી , સિદ્ધિ પામીને તે પરમ ગતિ પ્રાપ્ત કરે છે .(45)
तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः ।
कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ॥ ४६ ॥
યોગી પુરુષ તપસ્વી , જ્ઞાની તથા કર્મી કરતાં શ્રેષ્ઠ હોય છે . માટે હે અર્જુન , સર્વ પરિસ્થિતિમાં તું યોગી થા .(46)
योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना ।
श्रद्धावान्भजते यो मां स मे युक्ततमो मतः ॥ ४७ ॥
સર્વ યોગીઓમાંથી જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક મને પરાયણ હોય છે , પોતાના અંતઃકરણમાં મારું જ ચિંતન કરે છે અને મારી દિવ્ય પ્રેમમય સેવા કરે છે , તે યોગમાં મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલો છે અને તે બધામાં સર્વોચ્ચ છે . આ જ મારો મત છે .(47)
આમ , શ્રીમદ્ ભગવદ્ગીતાના “ ધ્યાનયોગ ” નામના છઠ્ઠા અધ્યાય પરના ભક્તિવેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે .

Comments
Post a Comment